ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીનું ૧૨ જૂને દુર્ઘટનામાં અવસાન, ફેવરિટ નંબર અંતિમ દિવસની તારીખ બન્યો; જન્મ તારીખ ‘૨’ અને સીટ નંબર ‘૨D’ નો અનોખો સંબંધ








ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું (Vijay Rupani) અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં (Ahmedabad Plane Accident) થયેલું કરુણ નિધન અનેક વિચિત્ર અને આઘાતજનક યોગાનુયોગોથી ઘેરાયેલું છે. ખાસ કરીને તેમના જીવન સાથે ગાઢ રીતે જોડાયેલા પ્રિય અંક ૧૨૦૬ અને તેમની જન્મ તારીખના અંક ૨ નો તેમની અણધારી વિદાય સાથેનો સંબંધ સૌ કોઈને સ્તબ્ધ કરી રહ્યો છે.
‘૧૨૦૬’: પ્રિય નંબરથી અંતિમ તારીખ સુધીનો પ્રવાસ
વિજયભાઈ રૂપાણી માટે ‘૧૨૦૬’ નો અંક અત્યંત ભાગ્યશાળી અને પ્રિય હતો. તેઓ મોટાભાગે કોઈપણ શુભ કાર્ય કરવા માટે ૧૨ જૂન ની તારીખને જ પસંદ કરતા હતા. તેમની અંગત કાર અને એક્ટિવા સહિતના વાહનોનો નંબર પણ તેઓ હંમેશા ‘૧૨૦૬’ જ રાખતા હતા. રાજકોટમાં આ નંબર વાંચીને લોકો તરત જ સમજી જતા કે આ વાહન વિજયભાઈ રૂપાણીનું જ છે.
આ કરુણ યોગાનુયોગ જુઓ, જે દિવસે તેમનું દુઃખદ અવસાન થયું, તે તારીખ ૧૨ જૂન, ૨૦૨૫ હતી, જેનો તારીખ અને મહિનો તેમના પ્રિય ‘૧૨ ૦૬’ અંકને પ્રતિબિંબિત કરે છે. લંડનમાં રહેતી તેમની પુત્રીને મળવા જવા માટે પણ તેમણે આ જ તારીખ પસંદ કરી હતી, જેમાં ‘૧૨૦૬’ નો અંક મોજુદ હતો. જોકે, તેમને ક્યાં ખબર હતી કે તેમનો આ પ્રિય નંબર જ તેમના અંતિમ દિવસની તારીખ બની રહેશે. આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનના પેસેન્જર લિસ્ટમાં પણ વિજયભાઈનો પેસેન્જર નંબર ‘૧૨’ હતો, જે આ અંકગણિતના સંયોગને વધુ ગૂઢ બનાવે છે.
જન્મ તારીખ ‘૨’ અને સીટ નંબર ‘૨D’ નો અદ્ભુત સંબંધ
વિજયભાઈ રૂપાણીનો બીજો કરુણ યોગાનુયોગ તેમની જન્મ તારીખ સાથે જોડાયેલો છે. તેમની જન્મ તારીખ ૨ ઓગસ્ટ હતી. જે એર ઈન્ડિયાના પ્લેનમાં તેઓ સફર કરી રહ્યા હતા, તેમાં તેમનો સીટ નંબર ૨D હતો. એટલે કે બિઝનેસ ક્લાસમાં તેમની સીટનો નંબર ‘૨’ હતો. અહીં પણ ‘૨’ ના અંકનો એક અનોખો અને પીડાદાયક સંયોગ જોવા મળે છે, જે તેમના જીવનના અંતિમ ક્ષણ સુધી તેમની સાથે રહ્યો.
પુત્ર પુજિતની સ્મૃતિમાં સમાજ સેવા: એક પ્રેરણાદાયી વારસો
ઉલ્લેખનીય છે કે, વિજયભાઈ રૂપાણીના પુત્ર પુજિતનું નાની વયે એક દુર્ઘટનામાં અવસાન થયું હતું. પુજિતના આ અકાળ અવસાનથી વિજયભાઈ અને તેમનાં પત્ની અંજલીબેન ગહન આઘાતમાં હતા. સમય જતાં, વિજયભાઈએ પુજિતની યાદમાં સમાજસેવા કરવાનું દ્રઢ નિશ્ચય કર્યું. તેમણે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવાના ઉદ્દેશ્યથી પુજિત રૂપાણી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના કરી હતી, જે આજે પણ સક્રિય છે અને અસંખ્ય લોકોને મદદરૂપ થઈ રહ્યું છે.
વિજયભાઈ રૂપાણીના નિધનથી ગુજરાતના રાજકારણમાં એક મોટી ખોટ પડી છે. તેમના જીવન સાથે જોડાયેલા આ કરુણ અંકગણિતના સંયોગો સૌ કોઈને આશ્ચર્યચકિત કરી રહ્યા છે અને તેમના પ્રત્યેની સંવેદનાઓને વધુ ઊંડી બનાવી રહ્યા છે.
Leave a Reply