માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન:એક પાઈલટે બીજા પાઈલટને પુછ્યું- શું તમે એન્જીન બંધ કર્યું?, 15 પાનાના રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ


આપણું ગુજરાત ન્યૂઝ. અમદાવાદ, ગુજરાત: 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 ની કરુણ દુર્ઘટનાના એક મહિના બાદ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ પોતાનો 15 પાનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ 12 જુલાઈ, 2025 ના રોજ જાહેર કર્યો છે. આ પ્રારંભિક રિપોર્ટ મુજબ, વિમાનના ટેકઓફના તરત જ બાદ એક પછી એક બંને એન્જિન બંધ થઈ જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 270 લોકોના મોત થયા હતા, જેમાં 241 યાત્રીઓ અને ક્રૂ મેમ્બર શામેલ હતા, જ્યારે એકમાત્ર યાત્રી જીવતો બચ્યો હતો.
પ્રારંભિક તપાસનો રિપોર્ટ
પ્રારંભિક તપાસના મુખ્ય તારણો:
- એન્જિન નિષ્ફળતા: રિપોર્ટમાં જણાવાયું છે કે ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડમાં વિમાનના બંને એન્જિન હવામાં જ બંધ થઈ ગયા હતા. ઇંધણ કટઓફ સ્વીચ એક સેકન્ડના અંતરે ‘RUN’ થી ‘CUTOFF’ માં બદલાઈ ગઈ હતી, જેના કારણે એન્જિનોને ઇંધણનો પુરવઠો મળતો બંધ થઈ ગયો.
- પાઈલટની વાતચીત: કોકપિટ વોઈસ રેકોર્ડિંગ (CVR) પરથી ખુલાસો થયો છે કે એક પાઇલટે બીજાને પૂછ્યું હતું કે “તમે કેમ બંધ (એન્જિન) કર્યા?” જેના જવાબમાં બીજા પાઇલટે “મેં નથી કર્યા” તેમ કહ્યું હતું.
- ફરી શરૂ કરવાના પ્રયાસ: પાઇલટોએ એન્જિનને ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. એન્જિન 1 અમુક અંશે ચાલુ થયું હતું, પરંતુ એન્જિન 2 ક્રેશ થાય તે પહેલાં શરૂ થઈ શક્યું નહોતું. વિમાન માત્ર 32 સેકન્ડ માટે હવામાં રહ્યું હતું.
- ઈંધણ અને ટેકનિકલ સ્થિતિ:
- ઈંધણના પરીક્ષણમાં કોઈ સમસ્યા જોવા મળી નહોતી.
- થ્રસ્ટ લીવર સંપૂર્ણપણે તૂટી ગયા હતા, પરંતુ બ્લેક બોક્સ ડેટા દર્શાવે છે કે ટેકઓફ થ્રસ્ટ ચાલુ હતો, જે ડિસ્કનેક્શનનો સંકેત આપે છે.
- ફ્લેપ સેટિંગ્સ (5 ડિગ્રી) અને ગિયર (નીચે) ઉડાન માટે સામાન્ય હતા.
- બાહ્ય પરિબળોનો અભાવ:
- બર્ડ હિટિંગ કે હવામાન સંબંધિત કોઈ સમસ્યા નહોતી.
- આકાશ સ્વચ્છ હતું અને વિઝિબિલિટી પણ બરાબર હતી. આંધી-તોફાન જેવી કોઈ સ્થિતિ નહોતી.
- પાઈલટની ફિટનેસ અને અનુભવ:
- બંને પાઇલટ તબીબી રીતે સ્વસ્થ હતા. પાઇલટને 8,200 કલાક અને કો-પાઇલટને 1,100 કલાકનો ઉડાનનો અનુભવ હતો.
- રેમ એર ટર્બાઇન (RAT) નું ખુલવું: AAIB એ CCTV ફૂટેજમાં RAT ચાલુ હોવાની પુષ્ટિ કરી છે. એન્જિન બંધ થતા જ રેમ એર ટર્બાઇન (એક નાનું પ્રોપેલર જેવું ડિવાઇસ) ખુલી ગયું હતું, જે વિમાનને ન્યૂનતમ વીજળી અને હાઇડ્રોલિક પાવર સપ્લાય કરવામાં મદદ કરે છે.
- અકસ્માતનો સમય: ફ્લાઇટ AI 171 એ 12 જૂને બપોરે 1:38 વાગ્યે ઉડાન ભરી હતી અને અકસ્માત 1:40 વાગ્યે 200 ફૂટની ઊંચાઈએ થયો હતો.
- મેડે કોલ: પાઇલટે એર ટ્રાફિક કંટ્રોલરને મેડે કોલ (ઇમર્જન્સી મેસેજ) મોકલ્યો હતો, પરંતુ તે પછી કોઈ જવાબ મળ્યો નહોતો.
- ફ્યુઅલ સ્વીચનું મહત્વ: ડ્રીમલાઇનર એરક્રાફ્ટના બંને એન્જિનમાં ‘રન’ અને ‘કટ-ઓફ’ નામની બે સ્થિતિ હોય છે. જો સ્વીચ ‘કટ-ઓફ’ પર જાય તો એન્જિનને ઇંધણ મળતું બંધ થઈ જાય છે. ઉડ્ડયન નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે પાઇલટે ઇમર્જન્સી દરમિયાન ફ્યુઅલ સ્વીચ દબાવી હોઈ શકે છે.
આગળની તપાસ: નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે અગાઉ જણાવ્યું હતું કે તપાસ તમામ દૃષ્ટિકોણથી કરવામાં આવી રહી છે, જેમાં તોડફોડની શક્યતાનો પણ સમાવેશ થાય છે. વિગતવાર તપાસ અહેવાલ આગામી ત્રણ મહિનામાં આવવાની શક્યતા છે.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો: આ દુર્ઘટનામાં કુલ 270 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં 230 મુસાફરો (169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિક) અને 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું હતું. DNA દ્વારા 251 લોકોની ઓળખ થઈ છે અને 245 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે.












Leave a Reply