DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા રદ: ભારત માટે મોટી રાજદ્વારી જીત

Yaman, Nimisha Priya Case, Kerala, Indian Government,

ગ્રાન્ડ મુફ્તીના કાર્યાલયે પુષ્ટિ કરી, જોકે સત્તાવાર લેખિત પુષ્ટિની રાહ; 2018થી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં હતો કેસ

Yaman, Nimisha Priya Case, Kerala, Indian Government,

સના, યમન: યમનમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલી કેરળની ભારતીય નર્સ નિમિષા પ્રિયાની મોતની સજા સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. ભારતના ગ્રાન્ડ મુફ્તી કંથાપુરમ એપી અબુબકર મુસલિયારના કાર્યાલયે એક નિવેદન જારી કરીને આ માહિતીની પુષ્ટિ કરી છે. જોકે, યમનની સરકાર તરફથી હજુ સત્તાવાર લેખિત પુષ્ટિ મળવાની બાકી છે. ગ્રાન્ડ મુફ્તીના કાર્યાલયે જણાવ્યું છે કે આ નિર્ણય યમનની રાજધાની સનામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો.

કેસની પૃષ્ઠભૂમિ અને નિમિષાની કહાણી:

નિમિષા પ્રિયાનો મામલો વર્ષ 2018થી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહ્યો છે. કેરળના પલક્કડ જિલ્લાની મૂળ નિવાસી 34 વર્ષીય નિમિષા પ્રિયા 2008માં નોકરીની શોધમાં યમન ગઈ હતી. યમનની રાજધાની સનામાં તેમની મુલાકાત સ્થાનિક નાગરિક તાલાલ અબ્દો મહેદી સાથે થઈ, જેની સાથે તેમણે ભાગીદારીમાં એક ક્લિનિક શરૂ કર્યું. સમય જતાં, બંનેના સંબંધોમાં કડવાશ આવી ગઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહેદીએ નિમિષાનું ઉત્પીડન કરવાનું શરૂ કર્યું અને જાહેરમાં પોતાને તેનો પતિ ગણાવવા લાગ્યો. એટલું જ નહીં, તેણે નિમિષાનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો જેથી તે ભારત પરત ન ફરી શકે.

યમનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નિમિષાએ 2017માં કથિત રીતે પોતાનો પાસપોર્ટ પાછો મેળવવા માટે મહેદીને બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પ્રયાસ જીવલેણ સાબિત થયો, કારણ કે મહેદીનું કથિત ઓવરડોઝથી મૃત્યુ થયું. આ પછી યમની અધિકારીઓએ તેને ધરપકડ કરી લીધી. માર્ચ 2018માં તેને હત્યાનો દોષી ઠેરવવામાં આવી અને 2020માં યમનની અદાલતે તેને ફાંસીની સજા સંભળાવી. આ મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો અને માનવાધિકાર સંગઠનો તેમજ સામાજિક કાર્યકરોએ તેની સજા વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું.

રાજદ્વારી અને ધાર્મિક પ્રયાસોનું ફળ:

સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની ગઈ જ્યારે ડિસેમ્બર 2024માં યમનના રાષ્ટ્રપતિ રશાદ અલ-આલિમીએ ફાંસીને મંજૂરી આપી, અને જાન્યુઆરી 2025માં હૂતી વિદ્રોહી નેતા મહેદી અલ-મશતએ પણ તેની પુષ્ટિ કરી દીધી. આ પછી, ભારતમાં ધાર્મિક અને રાજદ્વારી સ્તરે નિમિષાના બચાવ માટેના પ્રયાસો વધુ તેજ બન્યા.

આખરે, ગ્રાન્ડ મુફ્તીના કાર્યાલય દ્વારા જાણ કરવામાં આવી છે કે યમનમાં ઉચ્ચ સ્તરીય બેઠક પછી નિમિષાની મોતની સજા રદ કરવામાં આવી છે. આ નિર્ણયને ભારત માટે એક મોટી રાજદ્વારી જીત તરીકે જોવામાં આવી રહ્યો છે, જોકે યમની સરકાર તરફથી સત્તાવાર પુષ્ટિની હજુ રાહ જોવાઈ રહી છે.